દેશભરમાં બહુચર્ચીત ટી.આર.પી. ગેમ ઝોન અગ્નીકાંડ કેસમાં આરોપી ફાયર ઓફિસર રોહિત વિગોરાએ સેશન્સ કોર્ટના તહોમતનામામાં સાપરાધ મનુષ્યવધની કલમો હટાવવા અને પોતાને બિન તહોમત છોડી મૂકવાની કરેલી પિટિશનમાં સુપ્રીમ કોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ સાપરાધ મનુષ્યવધના તહોમતનામાને બહાલી આપવા ઉપરાંત બિનતહોમત છોડી મૂકવાની અરજી પણ ફગાવી દીધી છે. આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધ ગુનાનો કેસ ચાલશે.
અત્રે યાદ રહે આ કેસમાં આરોપીઓ સામે તહોમતનામુ ફરમાવી દેવાયા બાદ કેસ ચાલવા અને તબક્કે પહોંચ્યો છે, દરમિયાન આરોપીઓની જમીન અરજીઓ પ્રથમ સુપ્રીમ કોર્ટ અને ત્યારબાદ પેરિટીના ધોરણે સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
અગ્નિકાંડમાં ૨૭ લોકોના ભડથું થયા હતા
આ કેસની હકિકત એવી છે કે, રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીકના નાનામવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટી.આર.પી. ગેમઝોનમાં ગઈ તા.૨૫/ ૦૫/ ૨૦૨૪ના રોજ આગ ફાટી નિકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિતના ૨૭ લોકોના ભડથું થઈ જવાથી મૃત્યુ થયા હતા. આ બનાવવાળી જગ્યાનું ગેરકાયદે બાંધકામ સ્ટ્રક્ચર તેમજ ફાયર એન.ઓ.સી. લેવામાં ન આવેલ હોવા છતા તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠ હોવાના કારણે આ દુઃખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ટી.આર.પી. ગેમઝોનના ભાગીદારો, સંચાલકો તેમજ મહાનગરપાલિકાના જવાબદાર અધીકારીઓ સહીતના કુલ ૧૫ આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી જેલહવાલે કરવામાં આવેલ હતા. સદર કેસમાં ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. રાજેશ મકવાણા, જયદિપ ચૌધરી, ગૌતમ જોષી, ડે.ચીફ ઓફીસર ભીખા ઠેબાં, ધવલ ઠકકર અને નિતીન જૈન દ્વારા કેસમાં ચાર્જફ્રેમ થયા પહેલા કેસમાંથી બિનતહોમત છોડી મુકવા (ડિસ્ચાર્જ) અરજી કરાયેલ હતી. જે અરજી રાજકોટ સેશન્સ અદાલત દ્વારા પ્રોસિકયુશન તરફે કરવામાં આવેલ નીચે મુજબની રજૂઆત ધ્યાને લઈ નામંજુર કરવામાં આવી હતી,
> ડીસ્ચાર્જ અરજી નિર્ણીત કરતા સમયે અદાલત માત્ર મર્યાદિત રીતે પુરાવાનું મુલ્યાંકન કરી શકે, હાલના તબકકે "મનુષ્યવધ" નો ગુન્હો બનતો હોવાના મતલબની
સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલ વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રોસીકયુશન તરફે દરેક આરોપીઓના ગુન્હાહિત કૃત્યના સંદર્ભે તેમની સામે રજૂ થયેલ પુરાવા મુજબ "મનુષ્યવધ" સહિતની વિવિધ કલમો હેઠળ પ્રથમ દર્શનીય રીતે પુરાવો હોવાનું માની આરોપીઓ વિરૂધ્ધ ચાર્જફ્રેમ કરવાનો હુકમ કરેલ હતો. રાજકોટની સેશન્સ અદાલત દ્વારા કરવામાં આવેલ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓએ અરજી કરેલ હતી જે અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરતા આરોપીઓ પૈકી ફાયર ઓફીસર રોહિત વિગોરા દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરાયેલ હતી. જે દરમ્યાન સેશન્સ અદાલતમાં આરોપીઓ વિરૂધ્ધ તહોમતનામું (ચાર્જફેમ) ફરમાવી દેવામાં આવતા આરોપીએ તહોમતનામાની વિગતો પણ પડકારેલ હતી. જે અરજી સર્વોચ્ચ અદાલત દ્વારા સેશન્સ અદાલત દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામાને ધ્યાને લીધા બાદ ફગાવી દીધેલ છે.
આ કામમાં ખાસ નિયુકત પ્રોસીકયુટર ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી અને આસિસ્ટન્ટ પ્રોસીકયુટર તરીકે નીતેશ કથીરીયા કેસ કાર્યવાહી ચલાવી રહેલ છે.
સ્પેશિયલ પીપી ગોકાણીએ આપેલ ડ્રાફટ ચાર્જ સુપ્રીમ દ્વારા માન્ય
રાજકોટ સહિત દેશભરમાં અતિચકચારી ગેમ અગ્નિકાંડ કેસમાં સરકાર વતી કેસની કમાન સંભાળનાર ખાસ નિયુક્ત વકીલ તુષાર ગોકાણી દ્વારા જે આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધ સહિતની વિવિધ કલમો મુજબનું તહોમતનામુ ફરમાવવા ડ્રાફટ તહોમતનામું સેશન્સ અદાલતમાં રજૂ કરવામાં આવેલ હતું, તે ડ્રાફટ તહોમતનામા સંદર્ભે પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ડ્રાફટ તહોમતનામા મુજબ સાપરાધ મનુષ્યવધની કલમો હેઠળ તહોમતનામું ફરમાવવામાં આવેલ હતું. જે ચાર્જફેમ સુપ્રીમ કોર્ટમાં ચાલેલ કેસ કાર્યવાહી દરમ્યાન સુપ્રીમ કોર્ટ દ્વારા ચોકકસ હુકમ કરી રજૂ કરવા આદેશ કરેલ હતો. આરોપીની તહોમતનામા વિરૂધ્ધની અરજી ફગાવી દીધેલ છે.