BREAKING NEWS

દ્વારકા : ટાટા કેમીકલના પાપે સમુદ્વમાં ભયંકર પ્રદૂષણ: બધા શું કામ ચૂપ?

  • January 06, 2026 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મીઠાપુરમાં ટાટા કેમીકલ કંપનીના પાપે સમુદ્વમાં ભયંકર પ્રદૂષણે માઝા મૂકી છે છતાં તંત્રના ટોપથી બોટમ અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ ચૂપકીદી સેવતા જળચર જીવસૃષ્ટિનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. આટલું જ નહીં કેમીલકનું પ્રદૂષણ દરિયામાં દીન-પ્રતિદીન વધતા દરિયો વિનાશની ગર્તામાં ધકેલાતા પર્યાવરણનું સંતુલન ખોરવવાની ભીતિ ઉભી થઇ છે. આ જીવલેણ બેદરકારીની સ્થિતિમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મલીન અને શંકાસ્પદ કામગીરી ઉડીને આંખે વળગી રહી છે. નવાઇની વાત તો એ છે કે, દરિયામાં કેમીકલના થરમાં બોટો ખૂપી જતી હોવા છતાં તંત્ર ગાંધારીની ભૂમિકા ભજવતા આ ભૂમિકા ભજવવા પાછળ કયું પરિબળ ભાગ ભજવી રહ્યું છે તે પણ ઉચ્ચ સ્તરીય તપાસનો વિષય બન્યો છે.

​​​​​​​

મીઠાપુરમાં ટાટા કેમીકલ કંપનીના પ્રદૂષણે માઝા મૂકી છે. આ અંગે છેલ્લાં ઘણાં સમયથી પીડીતો દ્વારા લડત ચલાવામાં આવી રહી છે. પરંતુ તંત્રનો મૂકબધીર બનીને બેઠું છે. જેના કારણે દરિયામાં ટાટા કંપનીના કેમીકલના પ્રદૂષણે હદ વટાવી છે. જેના ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે. કારણ કે, દરિયામાં કેમીકલના પ્રદૂષણના થર જામી ગયા છે. જેના કારણે દરિયા કીનારે બોટો ખૂપી જતા પાણીમાં જઇ શકતી નથી. આટલું જ નહીં બોટને ખસેડવા દરિયા કીનારે ઉતરતા લોકો કેમીકલના થરમાં ખૂપી જતા અને ચાલી પણ ન શકતા જીવલેણ અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. આટલું જ નહીં આ કેમીકલનું પ્રદૂષણ એટલું બધું ઘાતક છે કે જળચર જીવસૃષ્ટિનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. ટાટા કંપનીના પ્રદૂષણથી દરિયો વિનાશની ગર્તામાં ધકેલાઇ રહ્યો છે. આમ છતાં તંત્રના ટોપ ટુ બોટમ એટલે કે સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ ભેદી ચૂપકીદી સેવી રહ્યા છે. ત્યારે આ છે સંવેદનશીલ સરકાર તે સવાલ પણ ઉઠ્યો છે.