પવિત્ર તહેવાર ચેટીચંડને આવકારવા તથા ઇષ્ટદેવ ઝૂલેલાલના જન્મના વધામણા કરવા સિંધી સમાજમાં થનગનાટ: સિંધિ યુવા સેના દ્વારા આજકાલ મીડિયાના સંગાથે વેશભૂષા સ્પર્ધા, મ્યુઝિકલ કાર્યક્રમ, મહાપ્રસાદ, દાંડિયા રાસ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા
સિંધિ યુવા સેના દ્વારા આજકાલ મીડિયાના સંગાથે આ વર્ષે રાજકોટમાં સિંધિ સમાજના નવા વર્ષના પવિત્ર તહેવાર ચેટીચંડને આવકારવા તથા ઇષ્ટદેવ ઝૂલેલાલના જન્મના વધામણા કરવા માટે ભવ્ય અને જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો. સંત શ્રી અમરલાલ ભાઈ સાહેબ તથા પૂજ્ય નીરુદીદીની પ્રેરણાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત લાલ સાઈની પવિત્ર જ્યોત પ્રગટાવી મહા આરતી સાથે કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે લીલારામભાઈ પોપટાણી, ક્રીપાલભાઈ કુંદનાણી, અજીતભાઈ લાલવાણી, બ્રીજલાલભાઈ સોનવાણી, જીતેશભાઈ પુનવાણી, જીમ્મીભાઈ અડવાણી, કુસુમબેન અને સુનીલભાઈ ટેકવાણીએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

કાર્યક્રમમાં વેશભૂષા સ્પર્ધામાં નાના બાળકો કુળદેવી હિંગળાજ માતાજી તેમજ ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાનના સ્વરૂપમાં સજ્જ થઈ આવ્યા હતા જેની રોનાકથી કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો. હિંગળાજ માતાજીનું સ્વરૂપ ધારણ કરનાર બાલિકાઓને સોનાની ભેટ આપવામાં આવી હતી, જ્યારે ઝૂલેલાલ ભગવાનના રૂપમાં આવેલા બાળકોને પણ આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી.
મહોત્સવમાં સમાજના બહેનો અને ભાઈઓ દ્વારા તૈયાર કરાયેલ ઇષ્ટદેવના ભહેરાણા સાહેબના વિશેષ દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. મ્યુઝિકલ કાર્યક્રમમાં જામનગરના જાણીતા સિંગર વિનુભાઈ જાંગીયાણી, નડિયાદના ભાવેશભાઈ મનસુખાણી તથા હોસ્ટ તરીકે નેન્સીબેન આસવાણી સંગીતમય રજૂઆત દ્વારા કાર્યક્રમમાં રંગત ભરી દીધી હતી.

આ કાર્યક્રમમાં સિંધી સમાજના પરિવારજનો માટે દાંડિયા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિન્સ અને પ્રિન્સેસ તરીકે પસંદ પામેલાને આકર્ષક ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત વડીલો માટે ખ્યાતનામ સિંધિ કલાકારો દ્વારા કલામ, ભજન તેમજ પરંપરાગત સિંધિ છેજનું સુંદર આયોજન કરાયું હતું. સમાજસેવાની દૃષ્ટિએ આ કાર્યક્રમ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું.