સૌરાષ્ટ્રની 22 સહિત ગુજરાતની 71 નગરપાલિકાઓની મુદત ચાલુ મહિનામાં પૂરી થઈ છે અથવા તો અમુકમાં પૂરી થવામાં છે. આ તમામ નગરપાલિકાઓમાં વહીવટદારો નિમાવવાનો આદેશ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
સરકારે સૌરાષ્ટ્ર કચ્છની જે 22 નગરપાલિકાઓમાં વહીવટદારોનું શાસન જાહેર કર્યું છે તેમાં જામખંભાળિયા, જામ રાવલ, માળીયા મિયાણા, ગોંડલ, અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા, જામરાવલ, વેરાવળ પાટણ, ઉના, સુત્રાપાડા, તાલાળા, કેશોદ, મહુવા, પાલીતાણા, વલભીપુર, ભુજ, અંજાર, માંડવી, મુન્દ્રા અને સિક્કા નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
આ તમામ નગરપાલિકાઓમાં મામલતદાર અને પ્રાંત અધિકારી કેડરના અધિકારીઓને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા આ સંદર્ભે કરવામાં આવેલ આદેશ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 8 મુજબ નગરપાલિકાઓની મુદત પ્રથમ બેઠકથી પાંચ વર્ષની હોય છે. મુદત પૂરી થાય તે પહેલા સામાન્ય ચૂંટણીઓ યોજવાની હોય છે. 71 નગરપાલિકાઓમાં ચાલુ મહિનામાં મુદત પૂરી થાય છે પરંતુ હજુ સામાન્ય ચૂંટણી યોજવામાં આવી ન હોવાથી આવી નગરપાલિકાઓની ચૂંટણીઓ થાય અને કારોબારી સમિતિની રચના થાય ત્યાં સુધી વહીવટદારોની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે.
સરકારે નિમેલા આવા વહીવટદારો અગાઉ ચૂંટાયેલી પાખની કારોબારી સમિતિ દ્વારા વિવિધ પ્રકારના વિકાસલક્ષી કામો પસંદ કરી અને મંજૂર કરવામાં આવેલ હોય તેવા કામોના વર્ક ઓર્ડર આપવા અને આવશ્યક સેવાઓ જેવી કે પાણી ગટર લાઈટ અગ્નિસામન સફાઈ જેવી બાબતોમાં સાધનો અને વાહનોમાં મરામતના કામો એવા નિર્ણયો લઈ શકશે. વહીવટદાર તરીકેના કાર્યકાળ દરમિયાન કોઈ નીતિવિષયક નિર્ણય લઈ શકાશે નહીં.