શહેરની ભાગોળે કુવાડવાના રફાળા ગામે સરપંચની વાડીની ઓરડીમાંથી પરપ્રાંતિય યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. યુવતીને ૧૨ દિવસ પહેલા વાંકાનેરના તીતવા ગામેથી પ્રેમી ભગાડ ગયો હતો. બાદમાં પ્રેમીએ યુવતીના પરિવારજનોને ફોન કરી 'તમારી દીકરી મરી ગઈ છે' તેમ કહેતા પરિવારજનો દોડી આવ્યા હતાં. યુવતી ઓરડીમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મળી આવી હતી અને તેના મથાનાભાગે તથા ગુપ્ત ભાગે ઈજાના નિશાન હોય અને તબીબો દ્વારા ઝેર પીધાની શંકા પણ વ્યકત કરવામાં આવતાં મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સીક પીએમ કરવામાં આવ્યું છે. જ્યારે પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરવામાં કુવાડવા રોડ પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીના પ્રેમીની સઘન પુછપરછ કરી રહી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના જાબુંઆ ગામના વતની અને હાલ વાંકાનેરના તિતવા ગામે પરિવાર સાથે રહેતાં જોગાભાઈ ભુરીયાની ૧૮ વર્ષની પુત્રી શરમા ગત તા.૩-૩-૨૦૨૬ના રોજ ગુમ થઈ જતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં પરિવારજનો વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયા હતાં. પોલીસ દ્વારા યુવતીના ડોકયુમેન્ટ માંગવામાં આવતાં યુવતીના ડોકયુમેન્ટ વતનમાં પડયા હોવાથી પરિવાર મધ્યપ્રદેશ ડોકયુમેન્ટ લેવા માટે ગયો હતો. દરમિયાન તપાસ કરતા. તેમની પુત્રીને મુળ મધ્યપ્રદેશનો જ વતની બુસા રાઠોડ નામનો શખસ ભગાડી ગયો હોય અને તે કુવાડવાના રફાળા ગામે હંસરાજભાઈ સેલડીયાની વાડીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.
દરમિયાન તા.૧૫નાં રાત્રે બુસાએ યુવતીના પરિવારને ફોન કરી તમારી દીકરી મરી ગઈ છે તેમ જણાવતાં પરિવારજનો અહિં આવવા માટે નીકળ્યા હતાં. રસ્તામાં જ ફરી ફોન આવતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ આવવા જણાવ્યું હતું. પરિવારજનો રાજકોટ સિવિલમાં પહોંચ્યા હતાં. પ્રાથમિક તપાસમાં યુવતીની રફાળા ગામે સરપંચ હંસરાજભાઈ સેલડીયાની વાડીની ઓરડીમાંથી લાશ મળી આવી હતી. ત્યારે યુવતી નિર્વસ્ત્ર હાલતમાં હોવાનું અને તેના ગુપ્તભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ તબીબો દ્વારા પણ યુવતીના શરીર ઉપર ઈજા હોવાનું અને તેને ઝેરી દવા પીધાની શંકાના આધારે મોતનું ચોકકસ કારણ જાણવા ફોરેન્સી પી.એમ.કરાવવા તજવીજ હાથ ધરી હતી. જેથી પરિવારજનો દ્વારા પુત્રીની હત્યા નિપજાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પુત્રીને ભગાડી જનાર બુસા નામનો શખસ પણ હાજર ન હોય જેથી હત્યાની શંકા વધુ દ્રઢ બની હતી. આ અંગે કુવાડવા રોડ પોલીસ વધુ તપાસ હાથ ઘરી છે. મૃતક શરમા ત્રણ ભાઈની એકની એક મોટી બહેન હોવાનું અને તેના પિતા મજુરી કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. જયારે આરોપી પરિણીત હોવાનું ત્રણ સંતાનનો પિતા હોવાનુ જાણવા મળ્યું છે.