બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હી હાઇકોર્ટે બુધવારના સુનાવણી દરમિયાન કહ્યું કે, રાજપાલ યાદવને જેલમાં નહીં મોકલવામાં આવે કારણ કે અત્યાર સુધીની મોટી રકમનો હિસ્સો જમા કરાવી દીધો છે. હવે આ કેસની આગામી સુનાવણી 1 એપ્રિલે થશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આગામી સુનાવણીની તારીખ ટાળવામાં આવશે નહીં, આ સાથે જણાવ્યું કે આ તારીખે કેસ પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના વકીલે કોર્ટને જાણકારી આપી કે, રાજપાલે અત્યાર સુધી ફરિયાદકર્તા કંપની 'મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ'ને 4.25 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. વકીલે આજે કોર્ટમાં 25 લાખ રૂપિયાનો વધુ એક ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવ્યો છે. આ વિશે કોર્ટે જણાવ્યું કે, અભિનેતાએ મોટી રકમ ચૂકવી દીધી હોવાથી તેમને જેલમાં મોકલવામાં આવશે નહીં. રાજપાલ યાદવ પોતાનો પક્ષ રજૂ કરતાં ભાવુક થયો અને કહ્યું કે, 2016ના આદેશ મુજબ 10.40 કરોડ રૂપિયા ચૂકવવાના હતા.
ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવ વર્ષ 2012 માં આવેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જોડાયેલા ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ હતો. ચેક બાઉન્સ કેસમાં 12 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થઇ હતી, જેમાં માત્ર એક પક્ષની દલીલ સાંભળવામાં આવી હતી અને નવી તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ ફરીથી જામીન અરજી પર સુનાવણી થઇ અને જામીન મંજૂર કર્યાં હતા.