સુરેન્દ્રનગરના ચર્ચિત જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રાજેન્દ્ર પટેલની જામીન અરજી નકારી કાઢતા હવે તેમનો જેલવાસ વધુ લંબાયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા બાદ કોર્ટે આ મહત્વનો નિર્ણય લીધો છે.
કરોડોનું વ્યવસ્થિત કૌભાંડ
રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પર આક્ષેપ છે કે તેઓ સરકારી સત્તાનો દુરુપયોગ કરીને જમીન બિનખેતી (NA) કરવા માટે કરોડો રૂપિયાની લાંચ લેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડ અત્યંત વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું.
ભાવનું લિસ્ટ: સરકારી વેબસાઇટ પર આવેલી અરજીઓની બાજુમાં એક ખાસ કોલમ ઉમેરીને જમીન NA કરવાના ભાવ લખવામાં આવતા હતા.
800 અરજીઓ: તપાસ દરમિયાન આવી અંદાજે 800 જેટલી અરજીઓ મળી આવી છે, જેમાં ભ્રષ્ટાચારના પુરાવાઓ હોવાની આશંકા છે.
વહેંચણીની ફોર્મ્યુલા: જમીન NA કરવાના ભાવની કુલ રકમમાંથી 50 ટકા રકમ સીધી કલેક્ટર પાસે જતી હતી. બાકીની રકમ અન્ય મળતિયા અધિકારીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી.
ડિજિટલ પુરાવા અને નાણાકીય વ્યવહાર
EDએ આ કેસમાં કલેક્ટરના બે ફોન, હાર્ડ ડિસ્ક અને મેકબુક સહિત કુલ 10 જેટલા ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. આ ડિવાઈઝના ડેટા એનાલિસિસમાં ભ્રષ્ટાચારના નેટવર્કની વિગતો મળી છે. આ સમગ્ર વહીવટ કલેક્ટરનો પર્સનલ આસિસ્ટન્ટ (PA) સંભાળતો હોવાનું પણ ખુલ્યું છે.
તપાસ દરમિયાન ચેતન કણજારીયા નામના વ્યક્તિએ કબૂલાત કરી છે કે તેણે પોતાની જમીન NA કરાવવા માટે અંદાજે 65 લાખ રૂપિયાની માતબર રકમ ચૂકવી હતી. EDના મતે, આ રીતે ભ્રષ્ટાચાર દ્વારા કુલ 10 કરોડથી વધુની રકમ એકઠી કરવામાં આવી છે.
કોર્ટનું અવલોકન
સરકારી વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીઓ પ્રભાવશાળી પદ પર રહી ચૂક્યા છે અને જો તેમને જામીન આપવામાં આવે તો તપાસ પ્રભાવિત થઈ શકે છે તેમજ પુરાવા સાથે છેડછાડ થવાની શક્યતા છે. આ દલીલોને ગ્રાહ્ય રાખીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે રાજેન્દ્ર પટેલને રાહત આપવાનો ઇનકાર કર્યો છે.