હડમતીયા ગોલીડા ગામે કરૂણ ઘટના બની હતી. અહીં વાડીમાં ખેતમજૂરીનું કામ કરનાર પરિવારની દોઢ વર્ષની બાળકી વાડીએ રમતા રમતા ભુલથી જીરૂમાં નાખવાની જંતુનાશક દવા પી જતા તેને ઝેરી અસર થઇ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર દરમિયાન માસુમે આંખો મીંચી દીધી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ તાલુકાના હડમતીયા ગોલીડા ગામે જયદીપભાઈની વાડીમાં રહેતા કમલેશભાઈ ગુણેશિયાની દોઢ વર્ષની દીકરી નાનકી તા.૨/૦૧ ના રોજ બપોરના ૧૨ વાગ્યાં આસપાસ વાડીમાં ઘર પાસે રમતી હતી. દરમિયાન ત્યાં જીરુંમાં છાંટવાની જંતુનાશક દવા પડી હોય, નાનકીના હાથમાં દવાની બોટલ આવી જતા તે બોટલ મોઢામાં નાખતા દવા પીવાઈ ગઈ હતી. માતા - પિતાનું ધ્યાન પડતા નાનકીના હાથમાંથી દવાની બોટલ લઈ લઈ લીધી હતી. પણ નાનકી થોડી દવા પી ગઈ હોય, તત્કાલ તેને રાજકોટ સિવિલની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.
અહીં સારવાર દરમિયાન તા. ૬/૦૧ ના રોજ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પરિવારની પુછપરછમાં જાણવા મળેલ કે, નાનકી 1 ભાઈ અને 2 બહેનમાં વચેટ હતી. તેના પિતા ખેત મજૂરી કરે છે. માસુમ બાળકીના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.
જયારે અન્ય એક બનાવમાં પોરબંદરના બોખીરા ગામે વાછરાદાદાના મંદિર પાસે રહેતો કિશોર મીત હરીશભાઇ લોઢારી(ઉ.વ. ૧૩) ગઇકાલે બપોરના સમયે પહેલા માળેથી નીચે પટકાતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે પ્રથમ સ્થાનિક હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.