પાટણ જિલ્લાના ચાણસ્મા-ઝીલિયા રોડ પર રતલામ જેવી ગેંગવોરના દ્રશ્યો સર્જાયા બાદ પોલીસ વિભાગમાં મોટો ભૂકંપ આવ્યો છે. ગેંગવોર દરમિયાન સ્થળ પર પહોંચ્યા હોવા છતાં ગુનેગારો સામે કાર્યવાહી કરવાને બદલે 'પોબારા' ગણી જનાર ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) સહિત ૮ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે.
શું હતી એ ‘કાળી રાત’ની ઘટના?
ઝીલિયા રોડ પર રૂપિયાની લેવડ-દેવડના સામાન્ય વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કુખ્યાત 'મસ્તાની ગેંગ' અને વામૈયાના શખ્સો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. બંને જૂથના અસામાજિક તત્વો તલવારો, પાઈપો અને અન્ય ઘાતક શસ્ત્રો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો તો ખરો, પણ હિંસક ટોળું જોઈને કાયદો બજાવવાને બદલે પોલીસકર્મીઓ જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
રાજ્ય પોલીસ વડા અને સ્થાનિક એસપી દ્વારા આ શરમજનક ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે. ફરજમાં બેદરકારી બદલ સ્ટાફને સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી પાટણ પોલીસના ઈતિહાસમાં એક મજબૂત સંદેશ આપે છે કે ખાખી પહેર્યા પછી મેદાન છોડનારાઓ માટે વિભાગમાં કોઈ જગ્યા નથી. ગેંગવોર જેવી ગંભીર ઘટનામાં પોલીસની આવી નિષ્ક્રિયતાથી જનતામાં ફફડાટ ફેલાયો હતો, જેને શાંત કરવા માટે આ કડક પગલું અનિવાર્ય હતું.