પોરબંદરના દિગ્વિજયગઢ ગામે ઘોડાએ પાટુ મારતા 8 વર્ષીય બાળકી વિશ્વા વિંઝુંડાનું મોત નીપજ્યું હતું. રાજકોટ સિવિલમાં બે દિવસની સારવાર બાદ બાળકીએ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો. ઉપલેટા રહેતી વિશ્વા મોસાળ દિગ્વિજયગઢ ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, વિશ્વા મહેશભાઈ વિંઝુંડા (ઉંમર વર્ષ 8, રહે.ઢેબરનગર, ઉપલેટા) ગત તા. 14નાં રોજ બપોરે 3:30 વાગ્યા આસપાસ પોરબંદર જિલ્લાના દિગ્વિજયગઢ ગામ પાસે હતી ત્યારે ઘોડાએ પેટમાં પાટુ મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. બાળકીને પહેલા પોરબંદર આસ્થા હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીં સારવાર દરમ્યાન આજે વહેલી સવારે બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે, વિશ્વા પોતાના નાના હસમુખભાઈ અળશીભાઈ મકવાણાનાં ઘરે પોરબંદરના દિગ્વિજયગઢ ગામે ગઈ હતી. નાના તેને મોટરસાયકલમાં ચક્કર મરાવવા માટે નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં ઘોડા ઉભા હોવાથી નાનાએ બાઈક ઉભું રાખ્યું. બાળકી બાઈક પરથી ઉતરી ઘોડા જોતી હતી.
ત્યારે અચાનક એક ઘોડાએ પાટુ મારી દીધું હતું. આંતરિક ગંભીર ઈજાનાં કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. વિશ્વા બે બહેનમાં નાની હતી. તેના પિતા મહેશભાઈ મજૂરી કામ કરે છે. માસુમ બાળકીના મૃત્યુથી પરિવારમાં ભારે શોક છવાયો હતો.