ડ્યુરન્ડ લાઇન પર ચાલી રહેલો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. શુક્રવારે રાત્રે પાકિસ્તાને કાબુલના પુલ-એ-ચારખી વિસ્તારમાં કરેલા હવાઈ હુમલામાં ચાર અફઘાન નાગરિકોના મોત બાદ, શનિવારે અફઘાનિસ્તાને પાકિસ્તાની સૈન્ય મથકો પર જોરદાર હુમલો કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાની સેનાને જાન-માલનું મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે.
14 પાકિસ્તાની સૈનિકોના મોત અને સૈન્ય મથકો પર તબાહી
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ:
સૈનિકોના મોત: અફઘાન સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના 14 સૈનિકો માર્યા ગયા છે અને 11 સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મિલિટરી પ્રોપર્ટીને નુકસાન: હુમલા દરમિયાન પાકિસ્તાન સેનાની એક ટેન્ક અને એક સૈન્ય વાહન સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
નિશાન: અફઘાનિસ્તાને કુનાર અને નાંગરહારને અડીને આવેલા પાકિસ્તાની સૈન્ય મથકોને સચોટ રીતે નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાની હુમલામાં સામાન્ય નાગરિકો બન્યા ભોગ
પાકિસ્તાની વાયુસેનાએ ગુરુવાર અને શુક્રવારે કાબુલ, નાંગરહાર અને કંધાર એરપોર્ટ નજીક આવેલા તેલ ભંડારો પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં બાળકો અને મહિલાઓ સહિત કુલ 10 થી વધુ અફઘાન નાગરિકો ના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) એ પણ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની હુમલામાં નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તાલિબાન સરકારના જણાવ્યા અનુસાર, તેલ ભંડાર પરના હુમલાને કારણે હજ પઢવા જનારા શ્રદ્ધાળુઓની યાત્રામાં પણ અવરોધ આવી શકે છે.
શું છે 'ઓપરેશન ગજબ લિલ હક'?
વધતા વિવાદને પગલે પાકિસ્તાને 28 ફેબ્રુઆરીથી અફઘાનિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન ગજબ લિલ હક' શરૂ કર્યું છે. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં પાકિસ્તાને 50 થી વધુ અફઘાન નાગરિકોની હત્યા કરી છે. તેના જવાબમાં અફઘાન વાયુસેનાએ પણ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ નજીક આવેલા ફૈઝાબાદ સૈન્ય મથક પર હુમલો કરીને પોતાની તાકાત બતાવી હતી.
સંબંધોમાં વધતી કડવાશ
2021માં તાલિબાન સત્તા પર આવ્યાના થોડા સમય બાદથી જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. સીમા વિવાદ અને આતંકવાદના મુદ્દે બંને દેશો વચ્ચે અવારનવાર સૈન્ય અથડામણો થતી રહે છે. હાલમાં અન્ય મુસ્લિમ દેશો આ મામલે શાંતિ સ્થાપવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સરહદ પર હજુ પણ ભારે તણાવ જોવા મળી રહ્યો છે.