સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા દરોડાની કાર્યવાહીથી સરકારી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ તેમજ ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને ઈડીએ સર્ચ ઓપરેશન શરૂ કરતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. અચાનક થયેલી આ કાર્યવાહીથી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તપાસ થયા બાદ અનેક બેનામી સંપત્તિઓના ખુલાસા થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
ડૉ. રાજેન્દ્ર પટેલ 2015ની બેંચના આઈએએસ અધિકારી
પ્રાપ્ત વિગતો મુજબ, ડૉ. રાજેન્દ્ર પટેલ 2015ની બેંચના આઈએએસ અધિકારી છે અને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે વહેલી સવારથી તેમના સરકારી નિવાસસ્થાને ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો, ફાઈલો અને નાણાકીય લેવડદેવડ સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પણ ઈડીના દરોડા
આ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પણ ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બંને અધિકારીઓ સાથે સંકળાયેલા બેનામી વ્યવહારો અને શંકાસ્પદ નાણાકીય લેવડદેવડ અંગે તપાસ કરવામાં આવી રહી હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે, ઈડી દ્વારા સત્તાવાર રીતે તપાસના મુદ્દા અંગે કોઈ સ્પષ્ટ માહિતી જાહેર કરવામાં આવી નથી.
તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા
ઈડીની કાર્યવાહી દરમિયાન સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ પણ બાહ્ય વ્યક્તિને નિવાસસ્થાને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સર્ચ ઓપરેશન લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. આ ઘટનાને લઈને રાજકીય અને વહીવટી વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. સરકારી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ સામે આવી કાર્યવાહી થતા પારદર્શિતા અને જવાબદારી અંગે ફરી એક વખત ચર્ચા ઊભી થઈ છે. લોકો હવે ઈડીની તપાસના પરિણામોની રાહ જોઈ રહ્યા છે અને જો આરોપો સાબિત થાય તો કડક કાર્યવાહી થવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.