જામનગર અમરેલી અને કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં ગઈકાલે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમુક જગ્યાએ કરા પણ પડ્યા હતા. તોફાની પવન ફુકાયો હતો અને તેના કારણે પણ સામાન્ય નુકસાન થયું હોવાની વાતો બહાર આવી રહી છે. કમોસમી વરસાદના કારણે ચણા અને જીરું જેવા પાકને નુકસાન થયું હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યા છે.આજે સવારે અમદાવાદમાં તોફાની પવન ફુકાયો હતો અને તેના કારણે અનેક વૃક્ષો તથા હોર્ડિંગો ધારાશયી થયા હતા. પાવાગઢમાં પવનની ઝડપ વધી જતા સલામતીના ભાગરૂપે રોપવે બંધ કરાયો છે.
અમરેલી જિલ્લામાં વડીયા અને બગસરામાં કરા પડ્યા હતા. તોફાની પવન ફુકાયો હતો. જામનગર જિલ્લાના લાલપુરમાં પણ તોફાની પવન સાથે કરા પડ્યાની અને માવઠું થયાના સમાચાર બહાર આવી રહ્યા છે. સ્ટેટ કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ ડીસામાં ત્રણ મિલીમીટર અને કચ્છ જિલ્લાના નલિયામાં એક મિલીમીટર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં પણ અમુક જગ્યાએ છૂટા છવાયા ઝાપટા પડ્યા હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારો સહિત રાજ્યમાં પણ લગભગ તમામ સ્થળોએ તોફાની પવન સાથે વરસાદ માટેની ચેતવણી આપવામાં આવી છે. હવામાન ખાતાની ચેતવણીના અનુસંધાને માર્કેટ યાર્ડમાં માલ ઢાંકી દેવાયો છે અને નવા માલની આવક નિયંત્રિત કરી દેવામાં આવી છે. માવઠાના કારણે ગરમીના પ્રમાણમાં થોડી રાહત મળી છે. રાજ્યમાં તમામ સ્થળોએ ૪૦ ડિગ્રીથી નીચે તાપમાન આવી ગયું છે. સમગ્ર રાજ્યમાં બુધવારે ગઈકાલે સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 37.5 ડિગ્રી હતું. વેરાવળમાં 30.4 અમરેલીમાં 36.1 ભાવનગરમાં 34.7 ભુજ 37 દ્વારકામાં 31.3 ઓખામાં 31.2 કંડલામાં 35.9 અને નલિયામાં 33.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. સરેરાશ 80 ટકા આસપાસ ભેજ નોંધાયો છે અને તેના કારણે સવારથી જ ગરમીમાં થોડી રાહત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application