જામનગર ખાતે ૩૦ દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય યોજના અંતર્ગત મોટરાઇઝ્ડ ટ્રાયસાઇકલનું વિતરણ કરાયું
દિવ્યાંગોના સ્વાવલંબન અને ગતિશીલતા વધારવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન
૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે મોટરચાલિત ત્રિ-ચક્રીય વાહન એનાયત કરવામાં આવ્યા
જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં સ્વાવલંબન અને ગતિશીલતા લાવવાના ઉમદા આશય સાથે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કુલ ૩૦ દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઇઝ્ડ ટ્રાયસાઇકલ (મોટરચાલિત ત્રિ-ચક્રીય વાહન)નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ હેઠળ ૬૦% કે તેથી વધુ હલનચલનની દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને આ અત્યાધુનિક સાધન સહાય વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. આ મોટરાઇઝ્ડ ટ્રાયસાઇકલ મળવાથી દિવ્યાંગ વ્યક્તિઓને તેમના દૈનિક જીવનમાં અવરજવર માટે સરળતા રહેશે તેમજ તેઓ વધુ આત્મનિર્ભર બની આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરી શકશે.
આ વિતરણ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી હસમુખભાઈ રામાણી, ચીફ ઓફિસર શ્રી મનોજભાઈ વ્યાસ તેમજ સંસ્થાના અધિક્ષક શ્રી વિભાભાઈ મેવાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિવ્યાંગોને મોબિલિટી સાધનો પૂરા પાડીને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવું અને સમાજની મુખ્યધારામાં તેમની સક્રિય ભાગીદારી વધારવી એ સરકારનો મુખ્ય હેતુ છે. આવા કલ્યાણકારી કાર્યક્રમો થકી સરકાર દિવ્યાંગોના ઉત્થાન અને સશક્તિકરણ માટે સતત પ્રયત્નશીલ છે. આ સાધન સહાય મેળવીને લાભાર્થીઓએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી....