ધારીમાં ગઈકાલે મહિલાની પ્રસૂતિ દરમિયાન એક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં નવજાત બાળકના જન્મ સમયે શ્વાસ બંધ થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર, પ્રસુતિ પૂર્વે માતાના પેટમાં બાળક દ્વારા મળ કરવામાં આવતા મિશ્રિત પાણી (મેકોનિયમ સ્ટેઇન્ડ લિકર) બાળક દ્વારા પી લેવાયું હતું. જેના કારણે બાળકના જન્મ બાદ તુરંત જ તેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી.
ડૉ.અમિત રાઠોડની સુઝબુઝે નવજાતને ઉગાર્યું
તાત્કાલિક સારવારની જરૂરિયાત વચ્ચે, પ્રસુતિ સ્થળે નવજાત માટે જરૂરી ઇન્ટ્યુબેશન ટ્યુબ ઉપલબ્ધ ન હોવાથી હાજર ગાયનેકોલોજિસ્ટ ડૉ.અમિત રાઠોડ દ્વારા જીવનરક્ષક નિર્ણય લેવાયો હતો. ડો. રાઠોડે IV સેટની નળી કાપીને તાત્કાલિક ઇન્ટ્યુબેશન કરી તે નળી મારફતે માઉથ ટુ માઉથ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી બાળકને સજીવન કરતા હોસ્પિટલમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ પરિસ્થિતિમાં હોસ્પિટલ સ્ટાફ, ડો. દીપ અને ડો. મેહુલે સહયોગ આપ્યો હતો .
હાલ બાળકની તબિયત સ્વસ્થ
પ્રાથમિક સારવાર બાદ બાળકની સ્થિતિ સ્થિર થતાં તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલમાં સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ નવજાત સ્વસ્થ છે, તેમજ માતા પણ સ્વસ્થ હાલતમાં છે. ડો. અમિત રાઠોડની સમયસર કાર્યવાહી અને ઝડપી નિર્ણયથી નવજાતનું જીવન બચી શક્યું હોવાનું જણાવાયું છે.