બિહારના મુખ્યમંત્રી બનવાનું સ્વપ્ન જોનારા તેજસ્વી યાદવ માટે હવે વિપક્ષના નેતાનું પદ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. તાજેતરના વલણો દર્શાવે છે કે રાજદ ફક્ત 25 થી 26 બેઠકો પર આગળ છે. જોકે, બિહારમાં વિપક્ષના નેતા બનવા માટે ઓછામાં ઓછા 25 ધારાસભ્યોની જરૂર છે. બિહાર વિધાનસભામાં 243 સભ્યો છે. પરિણામે, તેજસ્વી યાદવના રાજદ ને વિપક્ષના નેતાનું પદ મેળવવા માટે ઓછામાં ઓછી 25 બેઠકો જીતવાની જરૂર પડશે. જોકે, રાજદ હાલમાં ફક્ત 26 બેઠકોની લીડ ધરાવે છે. આ રાજદના વિપક્ષના નેતાનું પદ મેળવવાની શક્યતાઓ માટે એક ખતરો છે. જો રાજદ આ આંકડાથી નીચે આવે છે, તો પાર્ટી આ પદ મેળવી શકશે નહીં.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર એનડીએની સરકાર બનવા જઈ રહી છે. ચૂંટણી પહેલાં સત્તા વિરોધી લહેર અને મહાગઠબંધન દ્વારા કમજોર કડી તરીકે ચીતરાઈ ગયેલા નીતિશ કુમારે ચૂપચાપ અનોખી વ્યૂહનીતિ અપનાવીને બાજી પલટી નાખી છે. જેડીયુએ ભાજપ કરતાં વધુ બેઠકો જીતીને સાબિત કર્યું છે કે બિહારના મતદારોનો વિશ્વાસ હજી પણ સુશાસન બાબુપર અકબંધ છે.
2002થી નીતિશ કુમારે લોકોમાં સુશાસન બાબુ તરીકેની જે છબી બનાવી છે, તે પરિણામોમાં સ્પષ્ટપણે જોવા મળી છે. બિહારમાં વીજળી વ્યવસ્થામાં સુધારો અને રાજ્યના દરેક ખૂણા સુધી પહોંચતા સારા રસ્તાઓએ લોકોને વિશ્વાસ અપાવ્યો કે વિકાસની ગતિ ચાલુ રહેશે.
ચૂંટણી પહેલાં હત્યાની ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા હતા, પરંતુ નીતિશ કુમારે ભાજપ સાથે મળીને જંગલ રાજની યાદ અપાવી અને વિપક્ષના આ મુદ્દાને તટસ્થ કરી દીધો. આ ઉપરાંત નીતિશ કુમારની છબીપલટુ રામ તરીકે બનાવવામાં આવી હોવા છતાં, તેમના કાર્યના આધારે જેડીયુ નેતાએ બધા સવાલોના જવાબ આપી દીધા છે.
ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જીતનો માસ્ટરસ્ટ્રોક
એનડીએની આ જીતમાં સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકાર દ્વારા કરવામાં આવેલું ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર હતું. ચૂંટણીની જાહેરાત પહેલાં બિહાર સરકારે 75 લાખ મહિલાઓના ખાતામાં સીધા 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાનો પ્રારંભ કર્યો હતો. લાભાર્થી મહિલાઓની સંખ્યા ઝડપથી 1 કરોડને વટાવી ગઈ. મહાગઠબંધને આ રકમને લોન કે ગ્રાન્ટ ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મતદારો પર તેની કોઈ અસર થઈ નહીં.
મહિલા મતદારોએ દારૂબંધીને મંજૂરી આપી
નીતિશ કુમારની જીતમાં મહિલા મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે, જેનું મુખ્ય કારણ દારૂબંધી છે. 2015ની ચૂંટણીમાં મહિલા કાર્યક્રમમાં માંગ ઉઠતા નીતિશ કુમારે સત્તામાં પાછા ફરવા પર સંપૂર્ણ દારૂબંધી લાગુ કરવાનું વચન આપ્યું હતું, જે તેમણે પૂરું કર્યું. દારૂબંધીના અમલ પર સવાલો ઊભા થયા હોવા છતાં, નીતિશ કુમાર અડગ રહ્યા. પ્રશાંત કિશોરે સરકાર બનવા પર દારૂબંધી ખતમ કરવાની વાત કરી હતી. જો કે, જનાદેશ સ્પષ્ટ દર્શાવે છે કે બિહારના લોકો, ખાસ કરીને મહિલાઓ, દારૂબંધી યથાવત્ રહે તેવું ઇચ્છે છે.
વ્યક્તિગત હુમલાઓનો સહાનુભૂતિનો લાભ
ચૂંટણી દરમિયાન નીતિશ કુમાર પર થયેલા વ્યક્તિગત હુમલાઓ પણ તેમને સહાનુભૂતિ અપાવવામાં મદદરૂપ થયા. તેજસ્વી યાદવે નીતિશ કુમારને બીમાર મુખ્યમંત્રી અને ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ કહ્યા હતા. પ્રશાંત કિશોરે તો મુખ્યમંત્રીનું આરોગ્ય બુલેટિન બહાર પાડવાની માંગ કરી હતી. આ પ્રકારના વ્યક્તિગત હુમલાઓ બિહારના લોકોમાં પડઘો પાડે છે અને પરિણામોએ તે બધાને ખોટા સાબિત કર્યા છે.