BREAKING NEWS

યુદ્ધ અટકાવવા ઈરાને મૂકી ત્રણ શરત, જાણો કઈ કન્ડિશનનો સમાવેશ

  • March 12, 2026 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી માત્ર પશ્ચિમ એશિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વ્યાપક આક્રોશ ફેલાયો છે. અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓથી ઈરાને તેના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનીને ગુમાવ્યા બાદ બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે અને ખાડી દેશો પર સતત મિસાઇલો અને ડ્રોન છોડી રહ્યું છે. દરમિયાન, હોર્મુઝની સામુદ્રધુની યુદ્ધભૂમિ બની ગઈ છે, જેમાં ઈરાન તેલના પ્રવાહને રોકવા માટે કટિબદ્ધ છે. જેમ જેમ કટોકટી વધતી જાય છે તેમ તેમ અમેરિકા પર દબાણ પણ વધતું જાય છે. જોકે, ઈરાને હવે યુદ્ધનો અંત લાવવાની હાકલ કરી છે. ઈરાની રાષ્ટ્રપતિએ અમેરિકા સમક્ષ ત્રણ શરતો પણ મૂકી છે.

ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા ભીષણ યુદ્ધને રોકવા માટે ઈરાનની ત્રણ શરતોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે તેહરાનના કાયદેસર અધિકારોની માન્યતા, વળતરની ચુકવણી, ભવિષ્યના કોઈપણ હુમલા સામે જરૂરી આંતરરાષ્ટ્રીય ગેરંટી આપવામાં આવે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં, પેઝેશ્કિયાને કહ્યું કે યુદ્ધ ફક્ત અમે આપેલી શરતો દ્વારા જ ઉકેલાશે. પેઝેશ્કિઆને લખ્યું, યહૂદીઓ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા શરૂ કરાયેલા આ યુદ્ધનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે ઇરાનના કાયદેસર અધિકારોને માન્યતા આપવામાં આવે, યુદ્ધનું વળતર ચૂકવવામાં આવે અને ભવિષ્યના હુમલાઓ સામે મજબૂત આંતરરાષ્ટ્રીય ગેરંટી આપવામાં આવે.

બીજી બાજુ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધમાં વિજયનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ઇરાનમાં વ્યવહારીક રીતે લશ્કરી ઉદ્દેશ્યો માટે કંઈ જ બાકી નથી. એક્સિઓસ સાથેના ફોન ઇન્ટરવ્યુમાં, ટ્રમ્પે કહ્યું, યુદ્ધ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. અમે અમારા સમયપત્રકથી ઘણા આગળ છીએ. તેમણે સમજાવ્યું કે હુમલાઓએ અપેક્ષા કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું છે. તેમણે કહ્યું કે ફક્ત પ્રથમ છ કલાકમાં, તેઓએ શક્ય વિચાર્યું હતું તેના કરતાં વધુ વિનાશ કર્યો છે. ટ્રમ્પે તેમના નિવેદનમાં કહ્યું, આ બદલો છે. છેલ્લા 47 વર્ષથી તેઓ જે મૃત્યુ અને વિનાશ ફેલાવી રહ્યા છે તેની આ કિંમત તેમણે ચૂકવી છે. તેઓ આટલી સરળતાથી છટકી શકશે નહીં.

દરિયાઈ સુરક્ષા અંગેની પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. બુધવારે સવારે, હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ અલગ-અલગ કાર્ગો જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ એ થાઈ-ધ્વજવાળા જહાજ મયુરી નારી અને લાઈબેરિયન-ધ્વજવાળા એક્સપ્રેસ રોમ પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઈરાનનો દાવો છે કે આ જહાજોએ ચેતવણીઓને અવગણી અને ગેરકાયદેસર રીતે સ્ટ્રેટ પાર કરવાનો પ્રયાસ કર્યો. આઈઆરજીસી નેવી ચીફ અલીરેઝા તાંગસિરીએ સ્પષ્ટતા કરી કે ચેતવણીઓને અવગણનારા જહાજોને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.

રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને જણાવ્યું કે તેમણે રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે પણ આ મુદ્દે વાતચીત કરી છે. તેમણે આ સંઘર્ષ માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવતા કહ્યું કે, ઝાયોનિસ્ટ શાસન અને અમેરિકાએ આ લડાઈ શરૂ કરી છે. અમે વિસ્તારમાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ તેના માટે જવાબદાર દેશોએ જવાબદેહી સ્વીકારવી પડશે.

2,000 થી વધુ લોકોના મોત

આ યુદ્ધમાં મૃત્યુઆંક હવે 2,100 ની નજીક પહોંચી ગયો છે. એક ઈરાની માનવાધિકાર સંગઠને 1,262 નાગરિકો અને 190 લશ્કરી કર્મચારીઓના મૃત્યુની પુષ્ટિ કરી છે. વધુમાં, લેબનોનમાં 570 થી વધુ નાગરિકો, ઇરાક/કુર્દીસ્તાનમાં 22, ઇઝરાયલમાં 14, કુવૈતમાં 12, યુએઈમાં 6, સાઉદી અરેબિયામાં 3, બહેરીનમાં 2 અને ઓમાનમાં 1 ના મોત થયા છે.


ઈરાનની 3 મુખ્ય શરતો

1. વૈધ અધિકારોની માન્યતા: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનના કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને સ્વીકારવામાં આવે.

2. યુદ્ધનું વળતર: યુદ્ધ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક અને માળખાગત નુકસાનની ભરપાઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવે.

3. આંતરરાષ્ટ્રીય ગેરંટી: ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય તેની નક્કર આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી આપવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application