રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ભાવેશ વાણવી નામના યુવકની કુહાડી અને પાઈપના ઘા ઝીંકીને કરવામાં આવેલી નિર્મમ હત્યાના મામલે આજે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી સિવિલ હોસ્પિટલ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જૂની અદાવતમાં ૬ શખ્સોએ ભાવેશનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા દલિત સમાજના આગેવાનો અને પરિવારજનોએ શહેરના મુખ્ય રસ્તાઓ પર ધરણાં યોજી પોલીસ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.
પરિવારની પાંચ મુખ્ય માંગણીઓ
પરિવાર અને સમાજના આગેવાનોએ જ્યાં સુધી નીચેની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવાની ચીમકી ઉચ્ચારી છે:
આરોપીઓની ધરપકડ: તમામ ૬ ફરાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે.
કઠોર સરભરા: પકડાયેલા ગુનેગારો સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે.
ગુજસીટોક (GUJCTOC): આરોપીઓ પર સંગઠિત ગુનાખોરી નિયંત્રણ ધારો (ગુજસીટોક) હેઠળ કેસ નોંધાય.
બુલડોઝર એક્શન: મુખ્ય આરોપી હમીર જોગરાણા અને અન્યના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવે.
ન્યાયિક તપાસ: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને ફાંસીની સજા અપાય.
મૃતક ભાવેશની પત્નીની આક્રંદભરી વાણીએ હોસ્પિટલમાં હાજર સૌની આંખો ભીની કરી દીધી હતી. તેણે રડતા રડતા કહ્યું, "હું પણ મરી જઈશ, મને મારો ભાવલો પાછો જોઈએ છે." ભાવેશના માતાએ જણાવ્યું કે તેમનો દીકરો ૨ લાખ રૂપિયા લઈને જૂની અદાવતનું સમાધાન કરવા ગયો હતો, પરંતુ ત્યાં તેને છેતરીને ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.