વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ફેબ્રુઆરી 2026 ના ડેટા મુજબ, ભારતની કુલ વસ્તુઓ અને સેવાઓની નિકાસમાં ગત વર્ષના સમાન ગાળાની તુલનાએ 11.04% નો વૃદ્ધિ દર જોવા મળ્યો છે. જોકે, આ જ સમયગાળા દરમિયાન આયાતમાં 21.61% નો તોતિંગ વધારો નોંધાયો છે. આ અસંતુલનને કારણે દેશની એકંદર વેપાર ખાધ (Trade Deficit) વધીને 3.96 અબજ ડોલર થઈ ગઈ છે, જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 2.72 અબજ ડોલર હતી.
ફેબ્રુઆરી 2026 ના વ્યાપારના મુખ્ય આંકડા
કુલ નિકાસ (વસ્તુ અને સેવા): ફેબ્રુઆરી 2025 માં 68.56 અબજ ડોલરની સામે આ વર્ષે વધીને 76.13 અબજ ડોલર થઈ છે.
કુલ આયાત (વસ્તુ અને સેવા): ગત વર્ષે 65.84 અબજ ડોલરની સામે આ વર્ષે વધીને 80.09 અબજ ડોલર પર પહોંચી છે.
વસ્તુઓની નિકાસમાં ઘટાડો: માલસામાન (Goods) ની નિકાસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, જે 36.91 અબજ ડોલરથી ઘટીને 36.61 અબજ ડોલર રહી છે.
સેવા ક્ષેત્રની નિકાસમાં તેજી: સર્વિસ સેક્ટરની નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે, જે 31.65 અબજ ડોલરથી વધીને 39.53 અબજ ડોલર થઈ છે.
ચાલુ નાણાકીય વર્ષનું પ્રદર્શન
ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં ભારતની કુલ નિકાસ 790.86 અબજ ડોલર રહેવાનો અંદાજ છે, જે ગત વર્ષ કરતા 5.8% વધારે છે. ભારતે વર્ષ 2024-25 માં 824.9 અબજ ડોલરની નિકાસનો વિક્રમ સ્થાપ્યો હતો. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, વૈશ્વિક પડકારો છતાં ભારતની નિકાસ કામગીરી સંતોષકારક રહી છે.
હોર્મુઝ સંકટની અસર
વાણિજ્ય સચિવે ચેતવણી આપી છે કે માર્ચ 2026 માં નિકાસમાં ઘટાડો જોવા મળી શકે છે. તેની પાછળના મુખ્ય કારણો છે. જેમાં 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીને કારણે લોજિસ્ટિક્સમાં ભારે વિક્ષેપ પડ્યો છે. વિશ્વના આ મહત્વના ટ્રેડ રૂટ પર સર્જાયેલા અવરોધોને કારણે માલસામાનની હેરફેર મોંઘી અને ધીમી પડી છે. ઈંધણ અને અન્ય જરૂરી ચીજોની આયાત મોંઘી થવાને કારણે વેપાર ખાધ પર વધુ દબાણ આવવાની શક્યતા છે. હાલ તો સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને નિકાસકારોને વૈકલ્પિક માર્ગો શોધવામાં મદદ કરી રહી છે, જેથી નાણાકીય વર્ષના અંતે નિકાસના લક્ષ્યાંકો જળવાઈ રહે.