BREAKING NEWS

ઉના કાંડમાં વેરાવળ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 5 મુખ્ય આરોપીઓ દોષિત, 4 પોલીસકર્મી સહિત 37 નિર્દોષ

  • March 16, 2026 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દેશના રાજકારણ અને સામાજિક વ્યવસ્થાને હચમચાવી દેનારા ગીર સોમનાથ જિલ્લાના બહુચર્ચિત 'ઉના કાંડ'માં આજે વેરાવળ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. વર્ષ 2016માં બનેલી આ ઘટનામાં લાંબી કાયદાકીય લડત બાદ અદાલતે મુખ્ય 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે પુરાવાના અભાવે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. અદાલત આવતીકાલે મંગળવારે દોષિતોને સજાની જાહેરાત કરશે.


કોને દોષિત ઠેરવવામાં આવ્યા?

વેરાવળ કોર્ટે આ કેસના મુખ્ય સૂત્રધારો અને હુમલામાં સીધી રીતે સંકળાયેલા નીચેના પાંચ શખ્સોને તકસીરવાન ઠેરવ્યા છે. જેમાં રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગોસ્વામીનો સમાવેશ થાય છે. આ પાંચેય આરોપીઓ પર અત્યાચાર ગુજારવા અને કાવતરું ઘડવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો સાબિત થયો છે.


પોલીસકર્મીઓ સહિત 37 આરોપીઓ નિર્દોષ

આ કેસમાં કુલ 42 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી 37ને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટના સમયે ફરજમાં બેદરકારી દાખવવા બદલ જે ચાર પોલીસકર્મીઓ સામે તપાસ થઈ હતી તેમને પણ કોર્ટે નિર્દોષ ઠેરવ્યા છે. નિર્દોષ પોલીસકર્મીઓમાં કંચનબેન, તત્કાલીન PSI પાંડે, તત્કાલીન ઉના PSO કરશનભાઈ અને નિર્મલ ઝાલા (જેમનું નિધન થઈ ચૂક્યું છે)નો સમાવેશ થાય છે. કુલ આરોપીઓમાંથી બે આરોપીઓનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું છે.


શું હતો સમગ્ર મામલો?

તારીખ 11 જુલાઈ, 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામમાં માનવતાને લજવતી ઘટના બની હતી. દલિત સમાજના સાત સભ્યો મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ કરી રહ્યા હતા. તે સમયે કથિત ગૌરક્ષકોએ ત્યાં આવી "તમે ગાયોને કેમ કાપો છો?" તેમ કહી યુવકો પર હુમલો કર્યો હતો. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી દેવામાં આવી જ્યારે યુવકોને કાર સાથે બાંધી, અર્ધનગ્ન કરી જાહેરમાં લાકડીઓ અને પાઈપો વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.


દેશભરમાં પડ્યા હતા ઘેરા પ્રત્યાઘાત

ઉનાકાંડ બાદ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં આંદોલનો થયા હતા. એકલા ગુજરાતમાં જ હુલ્લડના 74 બનાવો નોંધાયા હતા. આ હિંસામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. આ કેસને કારણે ગુજરાતના તત્કાલીન રાજકારણમાં પણ મોટા ફેરફારો જોવા મળ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News